આદિવાસી સમાજ માટે ‘મહુડા’નું મહત્વ

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં અંદાજે દર વર્ષે છ થી સાત હજાર જેટલા મહુડાના રોપાનો ઉછેર કરવામાં આવે છે.
એક મહુડો આદિવાસી કુટુંબને વિવિધ રીતે આર્થિક આધાર આપે છે.

મહુડાના વૃક્ષો વધુ પ્રમાણમાં હોય એવા પરિવારનો સમાજમાં મોભો વધે તેવી સમાજમાં માન્યતા છે
મહુડો આદિજાતિ સમાજનું દેવ વૃક્ષ કલ્પવૃક્ષ તરીકે પૂજાય છે

મહુડો એ આદિવાસી સમાજ માટે દેવ વૃક્ષ છે, કલ્પ વૃક્ષ છે અને જેમની પાસે મહુડાના વૃક્ષો વધુ પ્રમાણમાં હોય એવા પરિવારનો સમાજમાં મોભો વધારે હોય છે. ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લામાં અંદાજે દર વર્ષે છ થી સાત હજાર જેટલા મહુડા હોવાની વિગતો સામે આવી છે. અહિંયા વન વિભાગના આરક્ષિત જંગલોમાં પણ મહુડાના રોપાનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા પણ મોટા પ્રમાણમાં મહુડાના વૃક્ષો ઉછેરવામાં આવી રહ્યા છે.
અરવલ્લી જિલ્લા વન વિભાગના આરક્ષિત જંગલ વિસ્તારમાં નર્સરીઓમાં અન્ય પ્રજાતિઓની સાથે મહુડાના રોપા ઉછેરવામાં આવે છે. જે અંદાજિત દર વર્ષે પાંચથી સાત હજાર જેટલા રોપા રોપવામાં આવે છે. આ રોપા આદિવાસી ખેડૂતોને પણ મર્યાદિત પ્રમાણમાં આપવામાં આવે છે. આ વિસ્તારમાં લોક માલિકીના અને જંગલ વિભાગની માલિકીના મહુડાના વૃક્ષો છે.

અરવલ્લી નાયબ વનસંરક્ષક શ્રેયસ પટેલ સાથે વાતચીત કરતા મહુડા વિશે તેઓ જણાવે છે, અરવલ્લી જિલ્લામાં આદિવાસી સમાજની આસ્થા સાથે મહુડાનું મહત્વ જોડાયેલું છે. તેથી કટિંગ થવાના કિસ્સાઓ નહિવત બને છે. પર્વતીય વિસ્તારમાં ધીમી ગતિએ મહુડાનું ઝાડ ઉછરે છે. અને આદિવાસી સમાજ તેને કલ્પવૃક્ષ માને છે. અરવલ્લી જિલ્લાના વિસ્તારમાં દર વર્ષે પાંચથી સાત હજાર જેટલા મહુડાના રોપાનો ઉછેર કરવામાં આવે છે. આદિવાસીઓની આસ્થાની સાથે જોડાયેલુ આ વૃક્ષ તેના ઉછેર અને તેના પ્રોટેક્શન માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સરળતા રહે છે.

મહુડાનો ઉપયોગ અને વેચાણ —

મહુડાના ફૂલો વેપારીઓ ખરીદે છે, અને પરિવારો પોતાના ઉપયોગ માટે પણ રાખે છે. તેના વેચાણથી ખેતી સિવાયની મોસમમાં ટેકો થાય તેટલી આવક મળે છે. ગોવિંદભાઈ જણાવ્યું હતું કે, 100 મહુડા હોય અને મોસમમાં ફૂલોના વેચાણથી અંદાજે 2 થી અઢી લાખની આવક મળે છે. ફૂલો ખરી જાય તે પછી મહુડા પર ફળ લાગે છે જે ડોળી તરીકે ઓળખાય છે. આ ફળ તેલીબિયાંની ગરજ સારે છે. જૂન મહિનામાં વરસાદ આવે ત્યાં સુધી ડોળી ખરે છે. આ ડોળીમાંથી શુદ્ધ ખાદ્યતેલ મળે છે જેને કેટલાક લોકો ડોળીના ‘ઘી’ તરીકે પણ ઓળખે છે. ડોળીને સૂકવીને, દળીને, બાફીને આદિવાસી પરિવારો રસાયણોના ઉપયોગ વગર તેલ કાઢે છે. ઘણાં હવે ઘાણીમાં પિલાવી ઘર વપરાશ માટે તેલ કાઢે છે. ડોળીનો ખોળ પશુ રોગોના ઉપચારમાં વપરાય છે અને સાબુના કારખાનેદારો પણ તેને ખરીદે છે.આદિવાસી દેવ પૂજન અને સામાજિક પરંપરામાં મહુડાના ફૂલ, ડોળીયું અને અન્ય પેદાશો ઉપયોગમાં લેવાય છે. આ દેવ વૃક્ષ હોવાથી એને કાપતાં નથી એટલે આજે આ વૃક્ષો સારા પ્રમાણમાં સચવાયા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *