અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલી અકસ્માતની ઘટના બાદ AMC જાગી , શહેરની બંધ સ્ટ્રીટલાઇટો ચાલુ કરવા સૂચન,કડક સખત પગલા કસુરવારો સામે લેવા મુખ્યમંત્રીશ્રીની તાકિદ.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલી અકસ્માતની ઘટનાની

અમદાવાદ પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ તપાસ થશે

 એક સપ્તાહમાં ચાર્જશીટ રજુ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.
 મહાનગરોમાં વાહન ઓવરસ્પીડીંગ સામેની ડ્રાઈવ વધુ સઘન અને વ્યાપક બનાવવા દિશાનિર્દેશો અપાયા.

અકસ્માત પછી અજવાળા!

શહેરની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા સૂચના

AMCના અધિકારીઓને બપોરે 3થી 5 ઓફિસમાં હાજર રહેવા આદેશ

 આવી ઘટનાઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તેવા દાખલારૂપ કડક સખત પગલા કસુરવારો સામે લેવા મુખ્યમંત્રીશ્રીની તાકિદ.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલી વાહન અકસ્માતની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને તે અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ દુર્ઘટનામાં બે પોલીસકર્મીઓ સહિત જે નવ કમનસીબ વ્યક્તિઓના અકાળે મૃત્ય થયા છે તેમના પરિવારજનો પ્રત્યે સાંત્વના અને દિલસોજી પાઠવવા સાથે પ્રત્યેક મૃતકોને રૂ. ૪ લાખની સહાય જાહેર કરેલી છે.

એટલું જ નહિ, આ અકસ્માતનાં ઈજાગ્રસ્તોને રૂ. પચાસ હજારની સહાય અને સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે આ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓના પરિવારો અને સોલા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની સહાય માટે આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલને સોલા સિવિલ હોસ્પિટલ પહોંચવા તત્કાલ સૂચનાઓ આપી હતી તે મુજબ તેઓ ત્યાં પહોંચ્યા હતા અને સારવાર સહિતની વ્યવસ્થાઓમાં મદદરૂપ થયા હતા.

ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પણ અકસ્માત સ્થળની મુલાકાત લઈને અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી દુર્ઘટના કઈ રીતે ઘટી તેની વિસ્તારપૂર્વક જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલને ગૃહ રાજ્ય મંત્રીશ્રી અને ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટના ક્રમની અને પોલીસ તંત્ર દ્વારા આ ઘટના બાદ લેવાયેલા પગલાઓથી માહિતગાર કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી, અટકાયત અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના આદેશો આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા.

તદ્‌અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં એક જોઈન્‍ટ કમિશનર, ત્રણ ડી.સી.પી અને પાંચ પી.આઈ આ અકસ્માતની ઘટના અંગે તપાસ કરી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે મહાનગરોમાંથી પસાર થતાં હાઈ-વે સહિત રાજ્યભરમાં હાઈ-વે પર વાહનોની સ્પીડ વગેરેની દેખરેખ માટે સી.સી.ટી.વી કેમેરા નેટવર્ક અને મહાનગરોનાં હાઈ-વે પર લાઈટ-પોલ અંગે પોલીસ, માર્ગ-મકાન, શહેરી વિકાસ વિભાગ અને સ્થાનિક સત્તાતંત્ર વચ્ચે સંકલન સાધીને વધુ સુદ્રઢ બનાવવા મુખ્ય સચિવશ્રીને સુચનાઓ આપી હતી.

આ બેઠકની ચર્ચાઓમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, મહાનગરોમાં વાહનોનાં ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઈવિંગ તથા સ્ટંટ કરનારા યુવાઓ સામે જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે વધુ કડક અને વ્યાપક બનાવાશે.

આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્‍ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, અમદાવાદમાં થયેલી આ અકસ્માત જેવી ઘટનાઓનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય અને સમાજમાં દાખલો બેસે તે રીતે કડક શિક્ષાત્મક પગલાં સહિતની કાર્યવાહી રાજ્ય સરકાર આ માર્ગ અકસ્માતની ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે કરવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીનાં મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસનાથન, ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવશ્રિ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશકશ્રી વિકાસ સહાય તથા મુખ્યમંત્રીશ્રીનાં સલાહકારશ્રી એસ.એસ.રાઠૌર, વાહન વ્યવહાર અને બંદરોનાં અધિક મુખ્ય સચિવશ્રી મનોજકુમાર દાસ, માર્ગ-મકાન સચિવશ્રી પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તથા પોલીસ કમિશનર, રોડ સેફ્ટી ઓથોરિટીનાં અધ્યક્ષશ્રી લલીત પાડલિયા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *