ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી
![](https://i0.wp.com/gujaratkarobar.news/wp-content/uploads/2023/03/IMG-20230331-WA0164.jpg?resize=1024%2C462&ssl=1)
ચૈત્રી નવરાત્રી ગાયત્રી અનુષ્ઠાન સાધનાની ૨૦૦ સાધકો દ્વારા રામનવમી પર થઈ પૂર્ણાહુતિ.
૩૦ માર્ચ, મોડાસા:ચૈત્રી નવરાત્રિ દરમિયાન ગાયત્રી સાધકો આ દિવ્ય ઉર્જાવાન સમયમાં સાધનાત્મક લાભાન્વિત થતાં હોય છે. ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર આ ચૈત્રી નવરાત્રિમાં મોડાસા ક્ષેત્રમાં અનેક ગાયત્રી સાધકો દ્વારા વિશેષ ગાયત્રી અનુષ્ઠાન સાધના કરવામાં આવી. જેમાં વિશ્વ કલ્યાણના સંકલ્પ સાથે ગાયત્રી મહામંત્રની દરરોજની ૩૦ માળા થઈ ૨૪૦ માળા એટલે નવરાત્રી દરમિયાન ૨૪૦૦૦ ગાયત્રી મહામંત્રની ઉપાસનામાં દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ ચાર વાગ્યાની આસપાસ જાગી આ બસો ઉપરાંત સાધકો દરરોજ ત્રણેક કલાક સાધનામાં લીન રહી વિશેષ સાધના કરવામાં આવી. આ ઉપરાંત બહેનો દ્વારા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પર દરરોજ બપોરે ૩ થી ૫ બે કલાક સામુહિક સાધના કરવામાં આવી. આ સિવાય અનેક સાધકો દ્વારા નવરાત્રિના દિવ્ય સમયમાં ગાયત્રી મંત્ર લેખન કરવામાં આવ્યું.
આ તમામ સાધકો રામનવમીના પવિત્ર દિવસે મોડાસામાં ગાયત્રી સંસ્કાર ધામ ખાતે પંદર કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં જોડાયા. રામનવમી પર્વ હોઈ ભગવાન રામજીની સ્તુતિ ગાઈ સૌ ભાવવિભોર થઈ ગયા.
બસો ઉપરાંત સાધકોએ ગાયત્રી મહામંત્ર તેમજ અનેક વિવિધ મંત્રોચ્ચાર સાથે હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રીની આહુતિઓ અર્પણ કરી.
નવરાત્રિ અનુષ્ઠાન સાધનાની આ પૂર્ણાહુતિ યજ્ઞમાં જોડાયેલ સૌ સાધકોએ પોતાની સાધનાની ઉર્જાનો માનવમાત્રના ઉજ્જવળ ભવિષ્ય તેમજ સદ્વિચારોની ક્રાન્તિ તેમજ ગાયત્રી પરિવાર દ્વારા જન સમાજની સેવારુપ અનેક રચનાત્મક આંદોલન માટે અથાગ પ્રયત્નશીલ રહેવા સૌ સંકલ્પિત થયા. આ સમગ્ર કાર્યક્રમનું કર્મકાંડ રશ્મિભાઈ પંડ્યા, કિરિટભાઈ સોની તથા અરવિંદભાઈ કંસારાએ શુદ્ધ મંત્રોચ્ચાર સાથે સંચાલન કર્યું. ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ તથા મંત્રી કાન્તિભાઈ ચૌહાણ સહિત અનેક ભાઈઓ બહેનોએ આ સમગ્ર આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
ગાયત્રી ચેતના કેન્દ્રના કાર્યક્ષેત્રમાં મોડાસાના આ આયોજન ઉપરાંત ડુઘરવાડા, શીકા, સાકરીયા, ટીંટોઈ, બાયલ- ઢાંખરોલ, વણીઆદ – કોકાપુર, ચીચણો, ખંભીસર, ફરેડી, શીણોલ, કીડી , કોલવડા સહિત અનેક ગામોમાં ગાયત્રી સાધકોએ આ ચૈત્રી નવરાત્રી દરમિયાન વિશ્વ કલ્યાણ અર્થે ગાયત્રી અનુષ્ઠાન સાધના કરી અને આજે રામનવમી પર્વની ઉજવણી સાથે દરેક ગામેગામ આ રીતે ગાયત્રી યજ્ઞ આયોજન કરવામાં આવ્યું.