ગુજરાત ટુરિઝમની પ્રિ-વાઈબ્રન્ટ સમિટનું સમાપન; એડવેન્ચર ટુરિઝમ માટે ભારતને ટોચના 10 વૈશ્વિક સ્થળોમાં સામેલ કરવાની દિશામાં વધુ એક પગલું
ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
*”ભારતમાં પ્રવાસન ક્ષેત્રે 2047 સુધીમાં ત્રણ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર હોવું જોઈએ” – શ્રી અરવિંદ સિંઘ, ભૂતપૂર્વ સચિવ, પ્રવાસન મંત્રાલય*
એકતા નગર, 19 ડિસેમ્બર 2023:* આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 પહેલા, એકતા નગરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ATOAI) દ્વારા 15મા વાર્ષિક એડવેન્ચર ટુરિઝમ કન્વેન્શન 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક સમાપ્ત થયું. આ કોન્કલેવમાં કેન્દ્ર અને વિવિધ રાજ્યોના મુખ્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગ અગ્રણીઓ, નિષ્ણાતો, ટૂર ઓપરેટરો અને પ્રેક્ટિશનરોએ ભાગ લીધો હતો.
આ કોન્કલેવ દ્વારા ભારતને એડવેન્ચર ટુરિઝમ ક્ષેત્રે વિશ્વમાં ટોચના 10 સ્થળોમાં સ્થાપિત કરવાની દિશા નિર્ધારિત કરવામાં આવી છે. ATOAIના પ્રમુખ અજીત બજાજના સ્વાગત પ્રવચન સાથે કોન્કલેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોન્કલેવ દરમિયાન, અરૂણાચલ પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુએ ગુજરાતના માનનીય પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાથે ATOAI કોન્કલેવમાં લગાવવામાં આવેલ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આરોગ્ય વનની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહેલ વૈવિધ્યસભર પ્રવાસન અને માળખાકીય સુવિધાઓની પ્રશંસા કરી હતી, જેનો ઉદ્દેશ્ય ગુજરાતમાં પ્રવાસીઓના અનુભવને યાદગાર અને બહેતર બનાવવાનો છે. વધુમાં, તેમણે પ્રવાસન નીતિ 2021-25, હેરિટેજ પ્રવાસન નીતિ, હોમસ્ટે નીતિ અને સિનેમેટિક પ્રવાસન નીતિ સહિત પ્રવાસન ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક પહેલોની પ્રશંસા કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનુભવાયેલ ઉષ્માભર્યા આતિથ્ય પર તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે, ગુજરાતના લોકો ખરેખર અતિથિ દેવો ભવની ભાવનાને સાર્થક કરે છે. તેમણે એમ કહીને પોતાના સંબોધનનું સમાપન કર્યું કે ગુજરાતનો પ્રવાસ હંમેશા મારા માટે આનંદદાયક હોય છે.
વધુમાં, ગુજરાત સરકારના પ્રવાસન સચિવ શ્રી હારિત શુક્લાએ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે થયેલા અભૂતપૂર્વ વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટુરિઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે જબરદસ્ત વિકાસ કર્યો છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાત પ્રથમ પસંદગીના સ્થળોમાંનું એક છે. ગત વર્ષોમાં, ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ પછી, ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત ખૂબ જ નીતિ આધારિત રાજ્ય છે, અને નીતિઓને વધારવા તેમજ તેમને બધા માટે મૈત્રીપૂર્ણ બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મૈત્રીપૂર્ણ નીતિઓના કારણે વિવિધ ક્ષેત્રોમાં જબરદસ્ત વિકાસ જોવા મળી રહ્યો છે.” તેમણે ગુજરાત દ્વારા કરાયેલા પ્રયાસોને બિરદાવીને કોન્કલેવમાં ભાગ લેનાર ઉદ્યોગ સાહસિકોને શુભેચ્છા પાઠવી હતી.
ભારતીય સુપરમોડેલ, અભિનેતા અને ફિટનેસ એન્થુઝીઆસ્ટ મિલિંદ સોમણ ફેશન ઈન્ડસ્ટ્રીમાં તેમની નોંધપાત્ર કારકિર્દી અને તંદુરસ્ત જીવનશૈલીની હિમાયત માટે જાણીતા છે. તેઓ અસંખ્ય મેરેથોનમાં ભાગ લઈ ચૂક્યા છે અને તેમના સાહસો દ્વારા સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે તેમજ ફિટનેસ માટેના તેમના જુસ્સા માટે પણ તેઓ પ્રખ્યાત છે. આ કોન્કલેવમાં તેમણે પ્રેક્ષકોને વિશેષ સંબોધન કર્યું હતું. તેમના સંબોધન દરમિયાન તેમણે ગુજરાતમાં થયેલા વિવિધ વિકાસની સરાહના કરી હતી. તેમણે મૈત્રીપૂર્ણ નીતિઓ માટે તેમજ સસ્ટેનેબલ અને પર્યાવરણને અનુકૂળ એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવા અને અન્ય લોકોને પણ તેમ કરવાની પ્રેરણા આપવા બદલ ગુજરાતની પ્રશંસા કરી હતી.
આ ઇવેન્ટમાં વૈશ્વિક રૂચિ અને સહભાગિતા જોવા મળી. પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન ઓલિમ્પિક કોચ માઇક ડ્રુસે પણ કોન્કલેવના પ્રથમ દિવસે એક સંબોધન આપ્યું, જેમાં તેમણે વિશ્વ તેમજ ભારતમાં મેગા હાઇકિંગ ટ્રેલ્સના તેમના અનુભવો શેર કર્યા અને શું કરવું અને શું ન કરવું તે વિશે માહિતી આપી.
વિવિધ મુખ્ય વક્તાઓએ તેમના મંતવ્યો રજૂ કર્યા કે ભારત આવનારા થોડા વર્ષોમાં કેવી રીતે વૈશ્વિક પ્રવાસન હબ બની શકે છે. તેઓએ વ્યૂહરચનાઓ આપતા કહ્યું કે ભારત પાસે ઘણી બધી સંભાવનાઓ છે અને વિવિધ સ્થાનો છે, જે ભારતને વિશ્વના ટોચના સાહસિક પ્રવાસન સ્થળોમાં સ્થાપિત કરી શકે છે.
કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રવાસન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ શ્રી અરવિદ સિંઘે જણાવ્યુ હતું કે “કોવિડ-19 મહામારી દરમિયાન, પ્રવાસન ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થનારા ઉદ્યોગોમાંનો એક હતો, પરંતુ મહામારી પછી અમે પ્રવાસન ક્ષેત્રમાં નોંધપાત્ર રીકવરી જોઈ છે. “
“ભારતીય પ્રવાસન ક્ષેત્રમાં વૃદ્ધિની સંભાવના છે અને હાલમાં તે એક મહત્વના મુકામ પર છે, જે આગળ વધવા માટે તૈયાર છે કારણ કે તમામ સૂચકાંકો સકારાત્મક પરિણામ તરફ નિર્દેશ કરે છે.” તેમણે વધુમાં જણાવ્યુ કે ભારતમાં પ્રવાસન ક્ષેત્રે 2047 સુધીમાં ત્રણ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર હોવું જોઈએ. તેઓએ ખાસ કરીને એકતા નગરમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ઉત્કૃષ્ટ કાર્ય અંગે વાત કરી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીએ બહોળી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવાની સાથે સંખ્યાબંધ નોકરીની તકો ઊભી કરીને સ્થાનિક અર્થતંત્રને પણ મદદ કરી છે તેમ જણાવ્યું હતું.
કાર્યક્રમના છેલ્લા દિવસની શરૂઆત ATOAIના સ્થાપક અને મુખ્ય કેપ્ટન સ્વદેશ કુમારના સ્વાગત પ્રવચનથી થઈ હતી. ત્યારબાદ વિવિધ વિષયો પર સંખ્યાબંધ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા, જેમાં ATOAI પ્રમુખ પદ્મશ્રી અજીત બજાજ અને IIT બોમ્બેના જયદીપ બંસલ દ્વારા “ATOAI-લીડિંગ ધ વે વિથ કાર્બન નેગેટિવ ઈવેન્ટ” અને “પ્રિઝરર્વિંગ USP વાઈલ મેનેજીંગ રિસ્ક,” પર પ્રેઝન્ટેશન અપવામાં આવ્યું હતું. સાથે “ડિકોડિંગ ધ જાર્ગન,” પર રિસ્પોન્સીબલ ટુરીઝમના પ્રોજેક્ટ એડિટર શ્રીમતી સોઇતી બેનરજી દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. આ સાથે જ, અનેક નોલેજ શેરિંગ સત્રો યોજાયા હતા.
સંમેલનમાં કાર્બન ન્યુટ્રાલીટી કરીને એક નવો માપદંડ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કોન્કલેવ દરમિયાન માત્ર ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ પ્રથાઓને અમલમાં મુકવાની સાથે તેના સહભાગીઓ માટે સસ્ટેનેબલ ટુરિઝમની સુસંગતતા વિશેના સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.
કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરવા માટે, વિવિધ ટકાઉ પહેલો, જેમ કે ઝીરો પ્લાસ્ટિક વેસ્ટ પોલિસી અમલમાં મૂકવામાં આવી હતી, જેના પરિણામે 15,000 પ્લાસ્ટિકની બોટલો દૂર કરવામાં આવી હતી અને પ્રતિનિધિઓને કાચની બોટલો અથવા રિયુઝેબલ બોટલોમાંથી પાણી પીવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રતિનિધિઓને પણ જ્યાં શક્ય હોય ત્યાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આયા. કોન્કલેવ દરમિયાન ઊર્જા વપરાશમાં 68% ઘટાડો જોવા મળ્યો હતો. વધુમાં, બેજ અને લગેજ ટૅગ્સ માટે સીડ પેપર્સનો ઉપયોગ કરી ટકાઉ વિકલ્પ પૂરો પાડવા અને સહભાગીઓને તેમના બેજ લગાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વધુમાં, કોન્કલેવની વિગતો ડિજીટલ રીતે ઉપલબ્ધ કરાવીને 2000 કાગળની શીટ્સ બચાવવામાં આવી હતી. ATOAI એ દરેક ભોજન પછી બગાડ થયેલા ખોરાકની માત્રા દર્શાવીને સભાન વપરાશને પ્રોત્સાહન આપી ભોજન દરમિયાન ખોરાકનો બગાડ ઓછો કરવા સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ખોરાકનો બગાડ ઘટાડવા પર પણ ભાર મૂક્યો હતો. ખાદ્ય પેકેજિંગના કચરાને ઘટાડવા માટે, માખણ, જામ અને ખાંડ માટેના પ્લાસ્ટિકની કોથળીઓનો વપરાશ ટાળવામાં આવ્યો હતો.
કોન્કલેવના બે દિવસ દરમિયાન એડવેન્ચર ટુરિઝમ પર નોલેજ શેરિંગ માટે ક્ષમતા ઊભી કરવા માટે રૂ. 770 કરોડના વિવિધ એમઓયુ અને ફિલ્મ શૂટિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કરાર કરવામાં આવ્યા હતા. એડવેન્ચર ટુરિઝમ માટેની વેબસાઇટ પણ સમાપન દિવસે લોન્ચ કરવામાં આવી હતી.
સંમેલન પૂર્વે, ATOAI એ સમગ્ર ભારતમાંથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ટુર ઓપરેટરો સાથે બે FAM ટ્રીપનું આયોજન પણ કર્યું હતું, જેમાં ગુજરાતમાં સાહસિક પ્રવાસનની શક્યતાઓ વિશે વાત કરવામાં આવી. મુલાકાતી ભાગીદારો પ્રવાસન સ્થળોના વિકાસ અને ગુજરાતની સાહસિક પર્યટનની અપાર સંભાવનાઓથી પ્રભાવિત થયા હતા.
સમગ્ર સંમેલન દરમિયાન ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપવા, દેશમાં અનએક્સ્પલોર્ડ સ્થળોની શોધખોળ, જ્ઞાનની વહેંચણી અને નેટવર્કિંગ સત્રો યોજવામાં આવ્યા હતા. દેશના વિવિધ સ્થળોની ચર્ચા કરતી વખતે, તમામ સહભાગીઓએ ગુજરાતની નિતીઓની પ્રશંસા કરી હતી સાથે ગુજરાત રાજ્યએ આ પ્રદેશમાં વિવિધ સ્થળોને પ્રોત્સાહન આપીને એક મજબૂત ઉદાહરણ સ્થાપિત કરવાની સાથે કચ્છના રણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે G20 જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો યોજીને વૈશ્વિક નકશા પર અગ્રણી સ્થાન મેળવ્યું છે. કોન્કલેવ દરમિયાન એડવેન્ચર ટુરીઝમ ક્ષેત્રે ગુજરાતની ક્ષમતાઓને ઉજાગર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ખાતરી આપી હતી કે ATOAI ના સહયોગથી આ ઉદ્યોગનો વિકાસ કરવામાં આવશે. રાજ્ય સરકાર તમામ યોગ્ય અને ટકાઉ માર્ગોનો અભ્યાસ કરી તેને અપનાવશે.
રાજ્યમાં એડવેન્ચર ટુરિઝમના વિકાસ માટે નિયમનકારી પ્રણાલી અને રોડમેપ અમલમાં મૂકવા માટે એક ટૂલકિટ શરૂ કરી. સલામતી માટે પ્રવાસન મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત ATOAI માર્ગદર્શિકા અપનાવી ઉદ્યોગના ઝડપી વિકાસ માટે કોન્કલેવમાં નવા ટ્રેન્ડની ચર્ચા કરવામાં આવી હતી.
સમગ્ર કોન્ક્લેવના ઉત્સર્જનને સરભર કરવા માટે, ATOAI એ ગુજરાત ટુરીઝમ અને ગુજરાતના વન વિભાગના સહયોગથી ઇવેન્ટ વિસ્તારની નજીક 200 છોડ રોપ્યા, જેની વન વિભાગ આગામી 15 વર્ષ સુધી જાળવણી કરશે.